પાલનપુર, તા.૧૦
પાલનપુર તાલુકા પંચાયતમાં વર્ષ ૨૦૦૮માં યોજાયેલ ચૂંટણીમાં મતદારોએ કોંગ્રેસના વધામણા કર્યા હતા.અને કુલ ૨૯ સીટ પૈકી ૧૭ સીટ કોંગ્રેસના ફાળે આવી હતી અને ૧૨ સીટ ભાજપને મળી હતી. દરમ્યાન કોંગ્રેસના પાંચ સભ્યો પક્ષાંતર ધારા હેઠળ સસ્પેન્ડ થયા હતા. જ્યારે વગદાના સદસ્ય ગ્રામપંચાયતની ચૂંટણીમાં સરપંચ તરીકે વરણી થતાં રાજીનામું આપ્યું હતું. આમ છસીટ ખાલી થઇ હતી.
- કોંગ્રેસને ફટકો પડતા લઘુમતીમાં મૂકાઈ : કોંગ્રેસની ૧૭ બેઠક હતી તે ઘટીને ૧૧ થઈ
- દાંતીવાડાની નીલપુર બેઠક પર કોંગ્રેસના ઉમેદવારનો વિજય થતાં બેઠક યથાવત્ રહેવા પામી
જેમાં ચિત્રાસણી, ધાણધા, ગઢ, સામઢી, મોટાવાસ, ટાકરવાડા, ધગદાની તાલુકા પંચાયતના સદસ્ય માટેની ચૂંટણી ગત તા.૮મી એપ્રિલે યોજાઇ હતી. તેની આજે મતગણતરી પાલનપુર મામલતદાર હિંમાશુ પરીખ અને નાયબ મામલતદાર સી.વી.પ્રજાપતિની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી. જેમાં ભાજપને ફાળે પાંચ સીટ આવી હતી. જેમાં ટાકરવાડા, ગઢ, સામઢી મોટાવાસ, ચિત્રાસણી, ધાણધાની સીટ ભાજપે કોંગ્રેસ પાસેથી આંચકી લીધી છે. જ્યારે વગદાની સીટ પર કોંગ્રેસે મહોર મારી છે. આમ પાલનપુર તાલુકા પંચાયતની કુલ ૨૯ સભ્યો પૈકી વધુ એક સદસ્યએ કાણોદરની સીટ પરથી રાજીનામું આપ્યું છે. જે આંગણવાડી કાર્યકર તરીકે નોકરી મળતા રાજીનામું આપ્યું હોવાનું તાલુકા વિકાસ અધિકારી એમ.એમ. ગઢવીએ જણાવ્યું હતું.
દાંતીવાડા તાલુકા પંચાયતની નીલપુર બેઠક પર અગાઉ ચૂંટાયેલા કોંગ્રેસના બળદેવભાઈ જોષીનું નિધન થતાં પેટાચૂંટણી યોજવામાં આવી હતી. આ ચૂંટણીમાં બંને પક્ષે ઉમેદવારો વચ્ચે જંગ ખેલાયો હતો. આજરોજ પરિણામ જાહેર થતાં કુલ ર૪૧૩ મતદાનમાંથી ભાજપના ઉમેદવાર નવીનભાઈ જોષીને ૧૧૦૦ મત અને કોંગ્રેસના બબાભાઈ રબારીને ૧૩૧૩ મત મળતાં કોંગ્રેસનો વિજય થયો હતો. આ બેઠક જાળવી રાખવામાં કોંગ્રેસને સફળતા મળી હતી.
No comments:
Post a Comment